we



શું મનસુખ વસાવા ગણપત વસાવાનો વિકલ્પ બનશે..?

         હાલની ચર્ચા અનુસાર એકાદ વર્ષ પહેલાં ગુજરાતના મંત્રીમંડળમાંથી પડતાં મુકાયેલાં લગભગ એક પણ મંત્રીને વિધાનસભાની ટિકિટ નહીં અપાય..! હાલમાં જ ભાજપાના વરિષ્ઠત્તમ સાંસદ મનસુખ વસાવાએ આપેલ નિવેદન પછી એમ લાગે છે કે ગણપત વસાવાનો વિકલ્પ ભાજપાએ શોધી લીધો છે. સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપતા જણાવ્યુ છે કે પક્ષ આદેશ આપશે તો હું નાંદોદ વિધાનસભા લડીશ. જો આમ થાય તો દક્ષિણ ગુજરાતની આદિવાસી પટ્ટી ઉપરના સર્વોચ્ચ આદિવાસી નેતા ગુજરાતના રાજકારણમાં દેખાશે.

આમ પણ સાંસદ મનસુખ વસાવા આકરા નિવેદન, અધિકારી કે પદાધિકારીને જાહેરમાં તતડાવવા કે ક્યારે બે-ચાર અપશબ્દો પણ સંભળાવી દેતાં સાંસદ મનસુખ વસાવાની છાપ મોદી સાહેબ પાસે જોરદાર છે. મોદીના પહેલાં પ્રધાનમંડળમાંથી પડતા મુકાયા છી તેમણે અપ્રત્યક્ષરૂપે તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબહેન સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તો, ડિસેમ્બર ૨૦૨૦માં પ્રદેશ પ્રમુખ સી આર પાટિલને સાંસદ તરીકેથી રાજીનામું આપતો પત્ર સોંપી દીધો હતો. રાજીનામાના પત્રમાં લખ્યું હતું કે તેઓ બજેટસત્ર દરમિયાન લોકસભાના સ્પીકરને મળીને લોકસભાના સભ્યપદેથી પણ રાજીનામું આપશે. જો કે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સાથેની મુલાકાત પછી રાજીનામું પરત પણ ખેંચી લીધું હતુ.

તો કરજણ તાલુકામાં રેતીના ડમ્પરની અડફેટે આવી મૃત્ય પામનાર ત્રણ લોકોનાં બનાવ પછી પગલે ઘટના સ્થળે પહોંચી મામલતદાર સહિતના અધિકારીઓને ઘટના સ્થળે બોલાવી જાહેરમાં તતડાવ્યા હતા. કથીત ગેરવર્તણુંક અને અપશબ્દો સબબ મામલતદારોએ તેમની વિરુદ્ધ આંદોલન પણ કર્યું હતું. આ પહેલાં પણ સરકારી કાર્યક્રમોના મંચ ઉપરથી અધિકારીઓ અને આગેવાનોને ખખડાવવાના અનેક બનાવો બન્યાં છે. ટૂંકમાં કહીયે તો સાંસદ મનસુખ વસાવા મનમાં હોય તે જબાન પર લાવી જાહેરમાં ગમે તેની ધૂળ કાઢી શકે છે.

આપણા કળાકારોની હિન્દી ફિલ્મ

बिना फाटक की रेल्वेलाईन Click link to watch movie


૧૯૯૪થી ૯૬ દરમ્યાન ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં મંત્રી રહી ચૂકેલ મનસુખ વસાવા ચંદુભાઈ દેશમુખના અવસાન પછી સાંસદ બન્યા અને સતત છ ટર્મથી સાંસદ છે. જો કે એવું મનાય છે કે દિલ્હી કરતાં ગુજરાતના રાજકારણમાં તેમને વધુ રસ છે..! અને કદાચ એટલે જ તેમણે નાંદોદ બેઠક પરથી વિધાનસભા લડવાની વાત કરી છે. આમ થાય તો ભાજપાને ગણપત વસાવાનો વિકલ્પ મળશે. તો બીજી તરફ છોટુ વસાવા એન્ડ કંપની સામે પણ તેમનો સતત ચાલી રહેલ રાજકીય સંઘર્ષ ફળશ્રુતિ પામશે.

અંતે... મનસુખ વસાવા ગુજરાત વિધાનસભાની ચૂટણી લડ્શે તો ગુજરાતના આદિવાસી સમાજને એક સક્ષમ અને સમર્થ નેતા જરૂર મળશે. તો બીજી તરફ ભરૂચ લોકસભા અનામત બેઠક ન હોવાં છતાંય ભાજપાએ સતત આદિવાસી ઉમેદવાર જ ઉતાર્યો હોવાનું મ્હેણું ભાંગવાની પણ તક મળશે.

-ડૉ. તરુણ બેંકર (M) 92282 08619

નોંધઃ આ લેખ ડો. તરુણ બેંકરના મૌલીક વિચારોનું સર્જન છે, કોપીરાઈટ હેઠળ સુરક્ષિત છે. કોઈપણ માધ્યમમાં ઉપયોગ કરવા અનુમતિ આવશ્યક છે.

No comments