we



‘પંચનિષ્ઠા’ થી ‘પંચપ્રણ’ આઝાદ ભારતથી અખંડ ભારત સુધીનો આશાવાદ

     આઝાદ ભારતમાં જન્મેલ નાગરીક તરીકે લાલકિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવનાર પહેલાં મહાનુભાવ અને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે સતત નવમી વાર લાલકિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. ત્યારપછી રાષ્ટ્રને સંબોધિત કરતા તેમણે આવનારા વર્ષોમાં, ‘પંચપ્રણપર ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કર્યો, ત્યારે ભાજપા જે  પંચનિષ્ઠાની વાત કરે છે તેની યાદ આવી ગઈ. (૧) રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રીય સમન્વય, (૨) લોકશાહી પ્રત્યે પ્રતિબદ્ધતા, (૩) વિધેયાત્મક બીનસાંપ્રદાયિકતા, (૪) મૂલ્યો ઉપર આધારિત રાજનીતિ અને (૫) એકાત્મ જીવનદર્શન/ એકાત્મ માનવવાદની પંચનિષ્ઠાઓ ભાજપાનો આધાર છે. હા, એ વાત અલગ છે કે ૨૦૦૦ની આસપાસ કે તે પછી સત્તાનો સ્વાદ ચાખવા આવેલાં અને આજે સત્તા પર ચઢી બેઠેલાં “કથિત ભાજપી”ઓને આ પંચનિષ્ઠાઓ વિષે જાણતા હશે કે કેમ..? જો કે આજે આ વિષયની ચર્ચા માટે કોઈ અવકાશ નથી.

લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધતા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દેશ જ્યારે સ્વતંત્રતા પર્વના ૧૦૦ વર્ષ પૂરા કરે ત્યારે, અર્થાતા આગામી ૨૫ વર્ષમાં વિકસિત ભારત સહિતના પંચપ્રણસંકલ્પો સાથે આગળ વધવાની હાકલ કરી. આ પંચપ્રણ એટલે (૧).  વિકસિત ભારતના સંકલ્પો સાથે આગળ વધવું (૨). ગુલામીના તમામ નિશાનો ભૂંસી નાખવા (૩). આપણા વારસા પર ગર્વ કરવો (૪). એકતાની તાકાત અને (૫) નાગરિકોની (પીએમ અને સીએમ સહિત) ફરજો. અત્રે ઉલ્લેખનીય છે કે આ “પંચપ્રાણ” ભાજપાના “પંચનિષ્ઠા”ના સિદ્ધાંતો પરથી પ્રેરણા લઈ આકાર પામ્યા હોય તેમ લાગે છે, અને એટલે જ આઝાદ ભારત અખંડ ભારત બનવા જઈ રહ્યું હોય તેવો આશાવાદ જગાવે છે. આપણે પંચનિષ્ઠાની વાત કરીએ તો તેમાં (૧) રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રીય સમન્વય (૨) લોકશાહીમાં શ્રદ્ધા (૩) વિધેયાત્મક બિન સાંપ્રદાયિકતા (૪) મૂલ્યો પર આધારિત રાજનીતિ અને (૫) એકાત્મ જીવનદર્શન / એકાત્મ માનવવાદની વાત કરવામાં આવી છે.

રાષ્ટ્રીયતાનો અર્થ તમામ ભારતીય એકજન છે. એક જ કોમના છે અને ભારત એક રાષ્ટ્ર છે. ભાજપાએ તેનું ઉદાર અર્થઘટન કર્યું છે. વિવિધતામાં એકતા થકી ભાવાત્મક એકરાગિતા નિર્માણ કરી એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરી શકાય. કેન્દ્રીયકૃત સત્તા નહી પણ સમવાયતંત્ર (federal) અને વિકેન્દ્રિત રાજ્ય વ્યવસ્થા જ રાષ્ટ્રીય એકતા સર્જી શકે છે. લોકશાહીમાં શ્રદ્ધા:  અર્થાત કોઈ એક વર્ગનું શાસન નહીં, સત્તાનું સુકાન લોકોના હાથમાં. લોકશાહી માત્ર વ્યવસ્થા નહીં, જીવન પદ્ધતિ. વિધેયાત્મક બિન સાંપ્રદાયિકતા: ભારતીય બંધારણના આમુખમાં સર્વધર્મ તરફ સમાન દ્રષ્ટિ અને સમાન આદરભાવનો સ્વીકાર થયો છે. બંધારણ કોમી પક્ષપાત કે ધાર્મિક બાબતોથી પર છે. સારા માણસ બનાવવાના હેતુથી આપણે બધા જ ધર્મોના સારા વિચારોનો ઉપયોગ કરવો જોઈએ. મૂલ્યો આધારિત રાજનીતિઃ ભાજપાએ દેશની અનેક સમસ્યાઓનું મૂળ રાજકારણના અધ:પતનને માન્યું છે. પક્ષ મૂલ્યો આધારિત રાજનીતિનો આદર્શ લઈને કામ કરવાની કોશિશ કરી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના મુલ્યાત્મક રાજકારણની વાત ગાંધીજીના સાધનશુદ્ધિના ખ્યાલની નજીક છે. એકાત્મ માનવવાદ: એકાત્મ માનવવાદ અને ગાંધીવાદી સમાજવાદમાં ઘણી બધી સામ્યતાઓને ધ્યાનમાં લઈને આગળ વધી રહ્યાં છે. બંને સિદ્ધાંતના સામાજીક અને આર્થિક ચિંતનમાં ઘણી બધી સામ્યતા જોવા મળે છે. બંને માનવીને કેન્દ્રમાં રાખીને સમાજના વિકાસની વાત કરે છે.

લાગે છે કે અમૃત મહોત્સવની આ ઉજવણી આઝાદ ભારતને અખંડ ભારત સુધી દોરી જશે.

No comments