we



ગુજરાતમાં મોદી પટકાયા, શાહ ઉંચકાયા..? ચોવીસ કલાકમાં રસ્તા ટનાટન થશે.

         કહેવાય છે કે પ્રદેશ પ્રમુખ એક કાર્યક્રમમાં ઉદ્દ્બોધન કરી રહ્યા હતા ત્યારે પીએમઓમાંથી ફોન આવ્યો અને સાંજે સિનિયર મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી પાસેથી પ્રમુખ મંત્રાલય આંચકી લેવાયા..! સત્તાવાર રીતે તો આ નિર્ણય મુખ્યમંત્રીએ લીધો. તો પછી ફોન સી આર પાટિલને કેમ આવ્યો..? ફોન પર શું વાત થઈ..? અને તેનાથી પણ મોટો સવાલ, શું રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદીને બલીનો બકરો બનાવાયા..? લઠ્ઠાકાંડ્માં પચાસેકના મોત અને હજારો કરોડાના ડ્ર્ગ્સકાંડ પછીય ગૃહમંત્રી હર્ષ સંઘવીને સરપાવ કેમ..? શું આ પહેલાં ક્યારેય એવું બન્યું છે કે આઈપીએસ અને આઈએએસ એક જ મંત્રીના તાબામાં હોય..? સવાલો તો ઘણાં છે, પણ પુછનાર ક્યાં છે. આપણે પુછીશું. જવાબ પણ માંગીશું. જોઈએ ક્યાં સુધી મૌન રહે છે..? વિધાનસભા ચૂંટણી માથે આવીને ઉભી છે ત્યારે જેમને મંત્રી બન્યાને હજુ એક વર્ષ પણ નથી થયો તેવાં વરિષ્ઠ મંત્રીઓ પર ગાજ..? અનેક આશ્ચર્યો સર્જે છે. તો વળી જુનિયર મંત્રીઓને સરપાવ..! તેમાં હર્ષ સંઘવી પણ..? ખૈર..! કોને મંત્રી બનાવવા, કોને કયું મંત્રાલય આપવું, કોને ક્યારે મંત્રીપદેથી હટાવવા કે કોની પાસેથી કયું મંત્રીપદ લઈ લેવું તે મુખ્યમંત્રીનો વિશેષાધિકાર છે. જો કે આ કિસ્સામાં તો ફોન પ્રદેશ પ્રમુખને આવ્યો હતો..? તો શું તેઓ સુપર સી.એમ. છે..? તો પછી ભૂપેંદ્ર પટેલ કોણ છે..? શું તમને પણ ફોન આવ્યો હતો..? કે સીધો સી.આર.નો આદેશ..?

હવે નવો સવાલ. અચાનક એવું શું બન્યું કે આ બન્નેને પીછા વગરના મોર બનાવી દેવાયા..? કારણ આ બન્નેને મંત્રી તો રહેવા દેવાયા, પણ તેમની પાસે જે પ્રમુખ મંત્રાલય હતાં તે આંચકી લેવાયા. અને તે બન્ને વિભાગના રાજ્યમંત્રી અન્યોને બનાવાયા અને કેબિનેટનો ભાર મુખ્યમંત્રીએ પોતાની પાસે રાખ્યો. ટૂંકમાં વિચારીએ તો પાછો માર્ગ અને મકાન અને મહેસુલ વિભાગ પાટીદાર પાસે ગયો. નરેંદ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બહુમતી સમય માર્ગ અને મકાન અને મહેસુલ વિભાગ આનંદીબહેન પટેલ પાસે હતો. વર્તમાન મુખ્યમંત્રી પણ આનંદીબહેન છેલ્લીવાર જે ઘાટલોડીયા બેઠક પરથી લડ્યા હતાં ત્યાંથી જ ધારાસભ્ય છે. વળી તેમને આનંદીબહેનના નિકટવર્તી માનવામાં આવે છે. હાલમાં થયેલ ફેરફાર પાછળ આનંદીબહેન તો નથી ને..? થોડો સમય પહેલાં જ તેઓ પ્રધાનમંત્રીને મળ્યાં હતાં. તર્કવિતર્ક ઘણાં છે.

હર્ષ સંઘવી ગૃહ વિભાગનો સ્વતંત્ર હવાલો ધરાવે છે. ત્યારે તેમને જ મહેસૂલ વિભાગ કેમ સોંપી દેવાયો..? નાયકની જેમ કામ કરતા રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી અચાનક મહેસૂલ વિભાગ કેમ લઈ લેવાયો..? વિધાનસભાના સર્વોચ્ચ પદ એવાં સ્પીકર રહી ચૂકેલાં રાજેન્દ્ર ત્રિવેદી પુનઃ લાઈમલાઈટમાં આવશે..? હવે પછી ટિકિટ મળશે..? તો બીજી તરફ રોડ-રસ્તા મામલે સક્રિય કામગીરી કરનાર પૂર્ણેશ મોદીને કેમ હટાવાયા..? શું આમાં કહીં પે નિગાહે કહીં પર નિશાના છે..? કારણ રસ્તાની હાલત તો આખા દેશમાં ખરાબ છે. તો વળી આ વિભાગ મુખ્યમંત્રી અને જગદીશ પંચાલને આપવાથી રોડ-રસ્તા એકદમ ટનાટન થઈ જશે..? પૂર્ણેશ મોદીએ તો ખરાબ થઈ ગયેલ રસ્તાઓ માટે ખાસ હેલ્પલાઈન પણ શરુ કરી હતી..! વળી હાલ ધોવાયેલ રસ્તાઓ પૈકી બહુમતી તો પાછલી સરકારમાં મંજૂર થયેલ હશે. સીઆર પાટીલ, પૂર્ણેશ મોદી ને હર્ષ સંઘવી, ત્રણે સુરતના છે, કોના આશીર્વાદથી કોણ કપાયું..? કે કોના આશીર્વાદ કોને ફળ્યા..? ગણિત પેચીદુ છે.

આ આખા પ્રકરણને બહારથી જોઈએ તો એમ ભાસે કે ગુજરાતમાં મોદી કપાયા ને શાહ કમાયા. પણ તેના મર્મને સમજીયે તો લાગે છે કે કેંદ્રીય મંત્રીમંડળમાં પણ ફેરફારના એંધાણ છે. પાર્લામેંટરી બોર્ડમાંથી પડતા મુકાયેલ નીતિન ગડકરી કેંદ્રીય મંત્રીમંડળમાંથી પણ..? શક્યતા અનેકગણી છે. તો ગુજરાત વિધાનસભાની આગામી ચૂટણીમાં શાહનો નહીં પણ પટેલનો હાથ ઉપર હશે. અમિત શાહ અને આનંદીબહેન પટેલ. જો અને તોની શક્યતાવાળા રાજકારણમાં પડતા મૂકાયેલાં કે કટ ટો સાઈઝ કરાયેલાં મંત્રીઓ નીચા મોઢે આ બધું સહન કરી લેશે..? કે રાજીનામું આપવાનું વિચારતા હશે..? મોરલ અને મોરાલિટીનો સવાલ છે.

- ડૉ. તરુણ બેંકર (M) 9228208619

નોંધઃ આ લેખ ડો. તરુણ બેંકરના મૌલીક વિચારોનું સર્જન છે, કોપીરાઈટ હેઠળ સુરક્ષિત છે. કોઈપણ માધ્યમમાં ઉપયોગ કરવા અનુમતિ આવશ્યક છે.

No comments