we



આમ થાય ત્યારે પક્ષ (કોંગ્રેસ) સાફ થતો હોય છે કે સ્વચ્છ..?

         કોંગ્રેસ તૂટી રહી છે. કોંગ્રેસી સંગઠક, ચૂંટાયેલ પ્રતિનિધિ કે કાર્યકર કોંગ્રેસ છોડી રહ્યાં છે. આવ સમાચારો છેલ્લાં કેટલાક સમયથી સંભળાઈ રહ્યાં છે. તો પછી તેમાં ભરૂચ શહેર કેમ પાછળ રહી જાય..! એટલે અહીં પણ રાજીનામા આપવાની જાણે હોડ મચી છે. કે કોઈ અદ્ર્શ્ય શક્તિ હોડમાં ઉતરવા પ્રોત્સાહિત કરી રહી છે..? સત્ય જે પણ હોય ક્યારેય સત્તાવાર રીતે બહાર આવતું નથી, હા, તેની કાનાફૂસી જરૂર સંભળાય છે.

આવ જ અનેક કાનાફૂસી અને ગણગણાટ વચ્ચે થોડાં દિવસો પહેલાં શહેર કોંગ્રેસના થોડાંક નેતાઓએ રાજીનામા આપ્યાં. તે પણ પત્રકારો ભેગાં કરી હાથમાં રાજીનામા પત્ર સાથેના ફોટા પડાવ્યા પછી..! ખૈર, તેનો ધૂમાડો શમે તે પહેલાં નવા કાર્યકારી પ્રમુખની વરણીમાં તેમેને વિશ્વાસમાં ન લીધાં હોવાની વાત કરી છે, જો કે તે પહેલાં આ પહેલાં રાજીનામા આપનાર મહાશયોની વાત પણ કરવામાં આવી છે. જો પક્ષમાં આગેવાનોનું માન સન્માન જ જળવાતું હોય તો અમારા જેવાં પાયાના કાર્યકરોની વાત કોણ સાંભળશે..? રાજીનામા આપનાર આ એકવીસ જેટલાં મહાનુભાવોમાં વોર્ડ પ્રમુખ, શહેર મહામંત્રી, મંત્રી, સહમંત્રી, આગેવાનો, નગરપાલિકાના ઉમેદવાર અને સક્રિય સભ્યો છે. ખૈર..! પક્ષથી કાર્યકરો-આગેવાનો-સંગઠકો કે ઉમેદવારો છે, આ બધાંથી પક્ષ નથી. છતાંય કોઈપણ પક્ષમાંથી નાનામાં નાનો કાર્યકર જાય તે બાબત તો દુઃખદ જ કહેવાય છે. પણ જ્યારે “રાત ઓછી ને ભગત ઝાઝા હોય” ત્યારે થોડો ભાર હળવો થાય તો..?

છેલ્લાં ૨૭ વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસા હારતી આવી છે. ભરૂચ શહેર અને જિલ્લાની વાત કરીએ તો દોઢેક વર્ષ પહેલાં થયેલ ચૂંટણીમાં કોંગ્રેસની સૌથી ખરાબ દશા થઈ હતી. તે સમયે આ જ ટીમ કાર્યરત હતી અને તેમનાં જ નેજા હેઠળ ચૂંટણીઓ લડાઈ હતી. આટલા કારમા પરાજય પછીય કોંગ્રેસે આ મહાશયો પર કોઈ કાર્યવાહી કરી નહોતી..! કેટલાંકને તો નવા સંગઠનમાં પાછા સમાવાયા હતાં. છતાંય..! અહીં એક ગીત યાદ આવ્યું. ‘જો ચલા ગયા ઉસે ભૂલ જા.’ કોંગ્રેસે હવે આ રીતે આગળ વધવું પડશે.

તો બીજી તરફ એમ પણ લાગે છે કે કોંગ્રેસની છાતી કે પીઠ પરથી થોડો બોજો ઓછો થયો છે, તો વળી સત્તાની મલાઈ જોઈ માતૃપક્ષ સાથે છેડો ફાડ્યા પછી સત્તાપક્ષમાં જવાની આશ કે ઓફર હશે તે લોકો થોડો સમય પહેલાં શાસકપક્ષમાં આવેલાં જયરાજસિંહ અને હાર્દિક પટેલની હાલત જોઈ લે. કારણ સ્પષ્ટ છે, શાસકો પાસે પોતાનાં જ કાર્યકરો, આગેવાનો અને નેતાઓ એટલાં બધાં છે કે નવા આવનારને કયું સ્થાન આપશે..? હા, કદાચ ટોળામાં કે થોકબંધ આવેલાં પૈકી એકાદને ચાપુ-ચપટી..!

અંતેઃ આમ થાય ત્યારે પક્ષ સાફ થતો હોય છે કે સ્વચ્છ..? ને પાછો એક સવલ. સામૂહિક રાજીનામાં પક્ષના લેટરહેડ પર અપાય..? પક્ષનું લેટરહેડ કોણે આપ્યું હશે..? કારણ પક્ષનું લેટરહેડ છે કોઈ આગેવાનનું નહીં..!

No comments